PM modi road show 2nd day: PM મોદીનો ગુજરાત પ્રવાસનો બીજો દિવસ, વાંચો આજના દિવસનો અત્યાર સુધીનો સંપૂર્ણ અહેવાલ
PM modi road show 2nd day: રાષ્ટ્રીય રક્ષા યુનિ.ના સમારંભમાં વડાપ્રધાનના હસ્તે ગોલ્ડ મેડલ એનાયત
અમદદાવાદ, 12 માર્ચઃPM modi road show 2nd day: કોરોનાકાળ પછી પ્રથમ વખત વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે 11 અને 12 માર્ચ એમ બે દિવસ ગુજરાતની મુલાકાતે આવ્યા છે. આવો જાણીએ બીજા દિવસે વડાપ્રધાન મોદીના દિવસ વિશે….
@ 12:35 PM
વડાપ્રધાનનું સંબોધન
વડાપ્રધાન મોદીએ વિદ્યાર્થીઓને સંબોધન કરતા કહ્યું કે, અહીં આવવું મારા માટે વિશેષ આનંદનો અવસર છે. દેશભરમાં રક્ષાના ક્ષેત્રમાં જે લોકો કરિયર બનાવવા માંગે છે, આ ક્ષેત્ર માત્ર દંડો અને ગન નથી. આ ક્ષેત્ર વિશાળ છે. તેમાં વેલ ટ્રેઈન્ડ મેનપાવર સમયની માંગ છે. 21મી સદીની ચેલેન્જિસના અનુકૂળ વ્યવસ્થા વિકસિત થાય, અને તેને સંભાળનારા લોકોનો પણ વિકાસ થાય તેને જોતા આ યુનિવર્સિટીનો જન્મ થયો. આજે તે દેશનું ઘરેણું બની છે. જે રાષ્ટ્રીય સુરક્ષાને લઈને દેશમાં નવો વિશ્વાસ પેદા કરે છે. જે વિદ્યાર્થીઓ આજે અહીંથી ડિગ્રી લઈને નીકળ્યા છે, તેમને શુભકામનાઓ. આજના જ દિવસે આ જ ધરતીથી દાંડી યાત્રા નીકળી હતી. અંગ્રેજોની સામે ગાંધીજીના નેતૃત્વમાં જે આંદોલન ચાલ્યું, તેમાં અંગ્રેજોને ભારતીયના સામર્થ્યનો અહેસાસ કરાવ્યો. તે સમયના વીર સેનાનીઓનો હું આદર કરૂં છું.
@ 12:15 PM
10 યુનિવર્સિટીના વડાને પણ આમંત્રણ
રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી ખાતે યોજાયેલા પદવીદાન સમારોહમાં 10 યુનિવર્સિટીના વડાને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે. પદવીદાન સમારોહમાં કુલ 1090 વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત કરવામાં આવશે. દેશના 18 રાજ્યોના 822 વિદ્યાર્થીઓ યુનિવર્સિટીમાં અભ્યાસ કરી રહ્યા છે. યુનિવર્સિટીની 10 જેટલી શાખાઓમાં પોલીસ વિજ્ઞાન અને સુરક્ષા સર્ટિફિકેટ અને ડિપ્લોમાનો અભ્યાસ કરાવવામાં આવે છે. રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી ડિપ્લોમાથી લઈને ડોક્ટરેટના સ્તર સુધી પોલીસ વિજ્ઞાન અને વ્યવસ્થાપન, ફોજદારી કાયદો અને ન્યાય, સાઈબર મનોવિજ્ઞાન, ઈન્ફોર્મેશન ટેક્નોલોજી, આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ અને સાઈબર સિક્યોરિટી, ક્રાઈમ ઈન્વેસ્ટીગેશન, વ્યૂહાત્મક ભાષાઓ, આંતરિક સંરક્ષણ અને વ્યૂહરચનાઓ, શારીરિક શિક્ષણ અને રમતગમત અને દરિયાઈ સુરક્ષામાં 38 શૈક્ષણિક કાર્યક્રમો પ્રદાન કરે છે. તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે જ રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટીનું ઉદ્ઘાટન થયું હતું.
આ પણ વાંચોઃ Ahmedabad-dakor road are banned for 4 days: અમદાવાદ-ડાકોર માર્ગ પર વાહનો અવર-જવર પર 4 દિવસ માટે પ્રતિબંધ- વાંચો શું છે કારણ?
@ 12:00 PM
અમિત શાહ પહોંચ્યા રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી ખાતે
ગૃહમંત્રી અમિત શાહ પણ રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી ખાતે પદવીદાન અને નવા સંકુલના ઉદ્ઘાટન કાર્યક્રમમાં હાજરી આપવા માટે પહોંચી ગયા છે. સવારે તેમણે અમદાવાદમાં પાલડી ખાતે આવેલા કોચરબ આશ્રમની મુલાકાત લીધી હતી અને દાંડી માર્ચ માટેના એક કાર્યક્રમમાં હાજરી આપી હતી. ગૃહ મંત્રી અમિત શાહે 7 દિવસની દાંડી સાયકલ યાત્રાનો પ્રારંભ કરાવ્યો હતો.
રક્ષા ક્ષેત્રે મહત્વની જવાબદારી સંભાળતા અધિકારીઓ હાજર
પદવીદાન સમારોહમાં (National Defense University Graduation Ceremony) રક્ષા ક્ષેત્રે મહત્વની જવાબદારી સાંભળતા SPG, NSG કમાન્ડો, BSF, CISF, RAF, NDRF, અને તમામ કેન્દ્રીય એજન્સીઓ જેવી કે આર્મી, નેવી અને એરફોર્સના ઉચ્ચ અધિકારીઓ પણ હાજર છે. જ્યારે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ ઉપસ્થિત રહ્યા છે.
@ 11:45 AM
PM મોદી પહોંચ્યા રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી ખાતે
આશરે 1.5 કલાક સુધી ચાલેલા રોડ શો બાદ વડાપ્રધાન મોદી સવારે 11:45 કલાકે રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી ખાતે પહોંચ્યા હતા. રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટીના પ્રથમ પદવીદાન કાર્યક્રમ દરમિયાન 37 વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ એનાયત કરવામાં આવશે અને 14 વિદ્યાર્થીઓને ડોક્ટરેટની પદવી આપવામાં આવશે.
વડાપ્રધાન મોદીના રોડ શોને લઈ દહેગામના તમામ લોકો જાણે રસ્તા પર નીકળી પડ્યા હોય તેવો માહોલ સર્જાયો છે. મોટી સંખ્યામાં લોકો રોડ પર પોતાના લોકલાડીલા વડાપ્રધાનના સ્વાગત માટે ઉમટી પડ્યા છે.
ઈન્દિરા બ્રિજથી સરદાર પટેલ સ્ટેડિયમ સુધી વડાપ્રધાન મોદીનો વધુ એક રોડ શો યોજાશે
રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી ખાતે નવા સંકુલના ઉદ્ઘાટન અને પદવીદાન સમારંભની સમાપ્તિ બાદ વડાપ્રધાન ત્રીજો રોડ શો યોજશે. તેમાં ઈન્દિરા બ્રિજથી સરદાર પટેલ સ્ટેડિયમ સુધી રોડ શો યોજવામાં આવશે. રોડ શો દરમિયાન 16 જેટલા પોઈન્ટ પર વડાપ્રધાનનું સ્વાગત કરવામાં આવશે.
દહેગામ જતી વખતે વડાપ્રધાન મોદીએ થોડી પળો માટે ગાડી ઉભી રખાવી હતી. ત્યાર બાદ લોકોના ઉત્સાહ વચ્ચે તેઓ ગાડીમાંથી બહાર આવ્યા હતા અને લોકોનું અભિવાદન ઝીલ્યું હતું. ત્યાં હાજર રહેલા લોકો માટે આ પળ ખૂબ જ ખાસ બની રહી હતી. વડાપ્રધાનને ગાડીમાંથી ઉતરતા જોઈને લોકોમાં જોશ ફૂંકાયો હતો.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ગુજરાત પ્રવાસનો આજે બીજો દિવસ છે. તેમણે ગાંધીનગર રાજભવન ખાતે રાત્રિ રોકાણ કર્યું હતું. આજે સવારે તેમણે રાજભવનથી વધુ એક રોડ શોની શરૂઆત કરી હતી અને દહેગામમાં રક્ષા શક્તિ યુનિવર્સિટીમાં પદવીદાન સમારંભમાં હાજરી આપવા પહોંચશે.
રોડ શો દરમિયાન વડાપ્રધાનનું ગાંધીનગર સેકટર 30માં એરફોર્સ સર્કલ ખાતે સ્વાગત કરવામાં આવશે. ત્યાંથી આગળ મોટા ચીલોડા અને દહેગામમાં સ્વાગત કરવામાં આવશે. રક્ષા શક્તિ યુનિવર્સિટીના કાર્યક્રમ બાદ તેઓ રાજભવન પરત ફરશે. બાદમાં પ્રદેશ નેતાઓ સાથે બેઠક કરશે. સાંજે અમદાવાદમાં નવરંગપુરા ખાતે સરદાર પટેલ સ્ટેડિયમમાં ખેલ મહાકુંભને ખુલ્લો મુકશે તથા પીએમ મોદી સ્પોર્ટ્સ પોલિસી 2022ની જાહેરાત પણ કરશે અને ત્યાંથી જ અમદાવાદ એરપોર્ટથી દિલ્હી જવા રવાના થશે.
વડાપ્રધાનનો આજનો કાર્યક્રમ
10.00 – ગાંધીનગર થી દહેગામનો રોડ-શો
11.00 – રાષ્ટ્રીય રક્ષા યુનિવસટીનો દીક્ષાંત સમારોહ
1.00 – રાજભવન પરત
6.30 – 11મા ખેલ મહાકુંભનો પ્રારંભ, સરદાર પટેલ સ્ટેડીયમ
વડાપ્રધાન મોદીના ગુજરાત પ્રવાસનો આજે બીજો અને અંતિમ દિવસ છે. આજે સવારે 10 વાગ્યે તેઓ રાજભવનથી નીકળશે અને દહેગામ સુધી રોડ શો કરશે. રોડ શોમાં વડાપ્રધાન મોદીનું અલગ અલગ સ્થળોએ સ્વાગત કરવામાં આવશે. રોડ શો પૂર્ણ થયા બાદ વડાપ્રધાન મોદી રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટીના નવા સંકુલનું ઉદ્ઘાટન કરશે અને પ્રથમ પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહેશે. આ કાર્યક્રમમાં ગૃહમંત્રી અમિત શાહ, રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ ઉપસ્થિત રહેશે. કાર્યક્રમ પૂર્ણ થયા બાદ બપોરે 1:00 વાગ્યા આસપાસ વડાપ્રધાન મોદી રાજભવન પરત ફરશે. ત્યાર બાદ સાંજે 6:00 વાગ્યે અમદાવાદના નવરંગપુરા ખાતે આવેલા સરદાર પટેલ સ્ટેડિયમમાં ખેલ મહાકુંભનો પ્રારંભ કરાવશે.
દેશ કી અવાજના તમામ સમાચાર ફેસબુક પર મેળવવા માટે લાઈક કરો.